
પાટણ, 27 જુલાઈ (હિ.સ.) : રાધનપુર તાલુકામાં આશરે 12 ઇંચ જેટલા ભારે વરસાદ બાદ ઓધવનગરથી બંધવડ જતી મુખ્ય કેનાલ અનેક સ્થળોએ ક્ષતિગ્રસ્ત બની છે. કેનાલમાં મોટા ગાબડાં પડતાં આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળવાની અને જાનમાલને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અતિભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે કેનાલનું ધોવાણ થતાં તેનું માળખું નબળું પડ્યું છે. અનેક સ્થળોએ તિરાડો અને ગાબડાં સર્જાતા કેનાલની સ્થિતિ ચિંતાજનક બની છે. જો સમયસર સમારકામ નહીં થાય તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
સ્થાનિક રહીશોએ કેનાલની ખરાબ હાલત અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક સમારકામની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે સમયસર જરૂરી કાર્યવાહી કરવામાં આવે તો સંભવિત હોનારત, પાણી ભરાવાની સમસ્યા અને જાનહાનિ જેવી પરિસ્થિતિને ટાળી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ