
જુનાગઢ, 27 જુલાઈ (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના યુવાઓને રોજગાર અને કારકિર્દીને લગત માર્ગદર્શન ઘર આંગણે જ મળી રહે તે માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી સતત કાર્યરત રહે છે. જિલ્લાના યુવાઓ પોતાની સ્વ નોંધણી થકી રોજગાર કચેરીની જુદી જુદી સેવાઓનો લાભ મેળવી શકે છે.
જે અંતર્ગત તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં સરકારી આઈ.ટી.આઈ. સંસ્થા ખાતે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા વિધાર્થીઑ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર’’ યોજાયો હતો. જેમાં શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓમાં વિધાર્થીઓ, તાલીમાર્થીઓ પાસેથી દસ્તાવેજો મેળવી રોજગાર કચેરી ખાતે નામ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ રોજગાર કાર્ડ તૈયાર થતા જે તે સંસ્થાઓમાં રોજગાર કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તે દરમ્યાન વિધાર્થીઓના નામ નોંધણી રીન્યુઅલ અને અપડેટેશન વિષે માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે, ઔદ્યોગિક ભરતી મેળા, કારકિર્દી માર્ગદર્શન, આર્મી નિવાસી તાલીમ, સ્વરોજગાર શિબિર, સેમિનાર, કાઉસેલીંગ વગેરે વિશે ઉપસ્થિત સર્વેને માહિતગાર કરાયા હતા.
આ નામ નોંધણી કેમ્પ માટે કચેરીના કાઉન્સેલર વી.ટી.પાચાલીયા અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર માટે એસ.ડી.યાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રોજગાર અધિકારી ડી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમ જુનાગઢ જિલ્લા રોજગાર અધિકારીની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ