
મહેસાણા, 27 જુલાઈ (હિ.સ.) : મહેસાણા શહેરના કમળાબા હોલ, સાર્વજનિક સ્કૂલ ખાતે પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વ્રતધારી બહેનો અને દીકરીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન વ્રતધારીઓને સુકો મેવો, ફરાળી ચેવડો, સિંગની સુખડી, રેવડી તેમજ પર્સ અને છત્રી ભેટરૂપે અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, માતૃશક્તિ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ગૌરી વ્રતના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે આ વ્રત શ્રદ્ધા, સંસ્કાર, શક્તિ અને નારી સન્માનનું પ્રતિક છે. તેમણે સમાજમાં ધાર્મિક પરંપરાઓને જાળવી રાખવા અને નવી પેઢીને તેના મૂલ્યો સાથે જોડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ વ્રતધારી બહેન-દીકરીઓને શુભકામનાઓ પાઠવી તેમના સુખ, સમૃદ્ધિ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. ઉપસ્થિત લોકોએ આયોજનની પ્રશંસા કરી હતી અને ગૌરી વ્રત જેવા પાવન પર્વો સમાજમાં એકતા, સંસ્કાર અને આધ્યાત્મિક ભાવનાને વધુ મજબૂત બનાવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR