
મહેસાણા, 28 જુલાઈ (હિ.સ.) પશુઓના આરોગ્ય અને ઉત્પાદન જાળવવા માટે સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાક આપવો અત્યંત જરૂરી છે. પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને સડેલો, ભીનાશવાળો અથવા ફૂગ લાગેલો ખોરાક પશુઓને ન ખવડાવવાની અપીલ કરવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા ખોરાકમાં ઝેરી તત્વો (માયકોટોક્સિન) ઉત્પન્ન થાય છે, જે પશુઓના લીવર, પાચનતંત્ર અને અન્ય મહત્વના અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.
ફૂગવાળો ખોરાક ખાવાથી પશુઓમાં ઝાડા, ઉલટી, ભૂખ ન લાગવી, નબળાઈ જેવી સમસ્યાઓ જોવા મળે છે. ઉપરાંત દૂધ ઉત્પાદન ઘટે છે અને પ્રજનન ક્ષમતા પર પણ તેની નકારાત્મક અસર થાય છે, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે.
પશુપાલકોને હંમેશા શુદ્ધ, સુકો અને તાજો ખોરાક આપવાની સાથે ખોરાકનો સંગ્રહ ભેજમુક્ત અને હવાની અવરજવરવાળી જગ્યાએ કરવાની સલાહ આપવામાં આવી છે. જૂનો અથવા શંકાસ્પદ ખોરાક ઉપયોગ કરતાં પહેલાં તેની તપાસ કરવી તેમજ ફૂગ લાગેલો કે સડેલો ખોરાક તરત જ નષ્ટ કરી દેવો જોઈએ. સાથે જ પશુઓને સ્વચ્છ પીવાનું પાણી પૂરતું ઉપલબ્ધ કરાવવું પણ જરૂરી છે. વધુ માહિતી માટે પશુપાલકો નજીકના પશુ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR