

મોરબી/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં ખાસકરીને સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા વીજલાઈન મુદ્દે ચાલી રહેલા મોરબીનું ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું,જેતપરમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધીનું બેનર લાગ્યું.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની હજુ 2027માં યોજવાની છે જેને હજી ઘણી વાર છે. પરંતુ મોરબીના ખેડૂતો વીજલાઈન મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે મોરબીમાં ચૂંટણી માટે અત્યારથી વિરોધના સૂર ઊઠ્યા છે. જેતપુર ગામમાં ભાજપે મત માગવા ન આવવાના બેનર લાગ્યા છે. જેને પગલે ભાજપના નેતાઓની પ્રવેશબંધીથી રાજકીય ગરમાવો આવ્યો છે.
મોરબીના જેતપર ગામે વર્ષ 2027ની ચૂંટણી પહેલા ખેડૂતોનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ભાજપના નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં, તેવા લખાણવાળા બેનરો ગામના પ્રવેશદ્વાર પર લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે મોરબીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, જેતપર ગામ રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાનું વતન છે અને ત્યાં જ ભાજપના નેતાઓની પ્રવેશબંધીનું બેનર લાગતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
મોરબી જિલ્લાના જેતપર ગામેથી આંદોલનની શરૂઆત થઈ હતી અને હવે મોરબી ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ ખેડૂતો હક માટે આંદોલન ચલાવી રહ્યા છે. સરકારે ખાનગી વીજ કંપનીઓ પાસેથી વધુ વળતર મેળવવા નવી વળતર નીતિનો પરિપત્ર જાહેર કર્યો છે.
ખેડૂતોએ આ પરિપત્રનો અસ્વીકાર કરી અગાઉ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમ છતાં, અસ્વીકાર કરેલા પરિપત્ર મુજબ એમઆરસી કમિટીની રચના કરવા અધિકારીઓ ગામડે-ગામડે હવાતિયાં મારી રહ્યા છે.
તાજેતરમાં મોરબી તાલુકાના સોખડા, વાઘપર અને પીલુડી ગામે મોરબીના પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ ખેડૂતોને સમજાવવા પહોંચ્યા હતા. અધિકારીઓએ એમઆરસી કમિટીમાં ખેડૂતોના પ્રતિનિધિઓ સામેલ કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ખેડૂતોએ જડબાતોડ જવાબ આપ્યો હતો કે, જ્યારે અમને આ પરિપત્ર જ મંજૂર નથી તો એમઆરસી કમિટીમાં રહેવાનો કોઈ અર્થ નથી. અમે અમારી માંગણી મુજબ જ વળતર મેળવવા માગીએ છીએ અને તે અંગેની રજૂઆત કલેક્ટર મારફતે સરકાર સુધી પહોંચાડી દીધી છે. તેથી સરકાર સમક્ષ અમારી માંગણી મુજબનું વળતર અપાવવા રજૂઆત કરો, તેમ ખેડૂતોએ અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ