

- ગ્રામ્ય વિસ્તારોમાં વાહનવ્યવહાર સરળ અને સુરક્ષિત રહે તે માટે સતત કામગીરી
રાજપીપળા,28 જુલાઇ (હિ.સ.) નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકો તેમજ અન્ય ગામો સાથે જોડતા અનેક આંતરિક માર્ગોના કેટલાક ભાગોને નુકસાન થયું હતું. વરસાદી પાણીના સતત પ્રવાહ, નાળા ઉપરથી પાણી ફરી વળવા તેમજ ડામર સપાટી પર માટી અને કચરો જમા થવાના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયત નર્મદા દ્વારા તાત્કાલિક અસરથી માર્ગોના દુરસ્તીકરણ અનેસમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
વિભાગ દ્વારા વિવિધ માર્ગોનું સ્થળ પર નિરીક્ષણ કરી જ્યાં જરૂરી હોય ત્યાં વેટમિક્સ દ્વારા
ખાડાઓનું સમારકામ, માર્ગની સપાટીનું સમતલીકરણ, ડામર ઉપર જમા થયેલી માટી અને કાદવની સફાઈ તેમજ વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે વાહનવ્યવહારને ફરીથી સરળ અને સુરક્ષિત બનાવી શકાય.
ખાસ કરીને નાંદોદ તાલુકાના જૂના ઘાંટાથી ઢોચકી તરફ જતા માર્ગ પર આવેલા નાળા પરથી
વરસાદી પાણી ફરી વળતાં માર્ગ પર માટી અને કચરો જમા થયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી નાળાની સફાઈ, માર્ગ પરથી માટી દૂર કરવાની કામગીરી તેમજ વાહનવ્યવહાર પૂર્વવત્ થઈ શકે તે માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.
ઉપરાંત રાજપીપળા–થરી રોડ, વાઘેથા એપ્રોચ રોડ, અણીજરા–દેકારી રોડ, ગરૂડેશ્વર એપ્રોચ સહિત જિલ્લાના વિવિધ માર્ગો પર વેટમિક્સ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં વરસાદના કારણે માર્ગની સપાટી ક્ષતિગ્રસ્ત થઈ છે ત્યાં પ્રાથમિકતાના આધારે સમારકામ કરવામાં આવી રહ્યું છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તેમજ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોની અવરજવર અવરોધ વિના ચાલુ રહી શકે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ માર્ગોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે.
વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે માર્ગો પર વધુ નુકસાન થવાની શક્યતા છે ત્યાં પણ પૂર્વ તૈયારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે. વિભાગ દ્વારા નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી વરસાદ બાદ માર્ગ વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ