

પાટણ, 29 જુલાઈ (હિ.સ.) તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે સિદ્ધપુર તાલુકાના અનેક માર્ગો પર ખાડા પડવા સહિત નાના-મોટા નુકસાન સર્જાયા હતા. વરસાદ બંધ થતાં જ માર્ગ અને મકાન વિભાગ, પાટણની સિદ્ધપુર ટીમે તાત્કાલિક અસરથી સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત માર્ગોનું નિરીક્ષણ કરી સમારકામની કામગીરી શરૂ કરી હતી.
વિભાગ દ્વારા પ્રાથમિકતાના આધારે યુદ્ધના ધોરણે પેચ વર્ક પૂર્ણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામે માર્ગો ફરી સુરક્ષિત અને વાહનવ્યવહાર માટે સુગમ બન્યા છે. આ કામગીરીથી સ્થાનિક નાગરિકો તેમજ વાહનચાલકોને નોંધપાત્ર રાહત મળી છે.
માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસા દરમિયાન માર્ગોની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યાં પણ વરસાદના કારણે માર્ગોને નુકસાન થશે ત્યાં તાત્કાલિક સમારકામ હાથ ધરી સલામત અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવામાં આવશે.
વિભાગના જણાવ્યા મુજબ નાગરિકોની સલામતી, ગુણવત્તાયુક્ત માર્ગ સુવિધા અને સરળ વાહનવ્યવહાર તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સમગ્ર ચોમાસા દરમિયાન માર્ગોની સ્થિતિ પર સતત નજર રાખી જરૂરી સ્થળોએ ઝડપી કામગીરી ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ