
પાટણ, 29 જુલાઈ (હિ.સ.)રાધનપુર તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના કારણે પેદાશપુરા સહિત 12થી વધુ ગામોના ખેતરો જળમગ્ન બનતાં 100થી વધુ ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. સતત પાણી ભરાઈ રહેતાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
દેલાણા, ગોતરકા, છાણિયાથર, રામેશ્વર, દેગામ, ધોરકડા, ગુલાબપુરા, સાતુન, કમાલપુર, પેદાશપુરા, અગીચાણા, જોરાવરગંજ અને બિસ્મીલાગંજ સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિથી ખેતીને મોટો ફટકો પડ્યો છે. બિયારણ, ખાતર, દવા અને અન્ય ખેતી ખર્ચ પણ પાણીમાં વહી ગયો હોવાનું ખેડૂતોનું કહેવું છે.
પેદાશપુરાના ખેડૂત લાઘુજી રાજસીજી અને ગોતરકાના ખેડૂત ઘનાભાઈ માદેવભાઈએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે 50 વીઘા સહિત મોટા પાયે વાવેલો પાક બરબાદ થતાં ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ સરકાર અને કૃષિ વિભાગને તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર તેમજ વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય નહીં મળે તો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બનશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ