


પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.) : પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ કાંતિભાઈ બાદરશાહીના અધ્યક્ષસ્થાને સાગર ભુવન હોલ ખાતે પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના વર્ષ 2026- 27ના પ્રમુખપદની પસંદગી માટે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પંચ-પટેલો, ટ્રસ્ટીઓ, પૂર્વ વાણોટો, પૂર્વ પ્રમુખો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં બોટ માલિકો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રમુખપદ માટે નરશીભાઈ કાનજીભાઈ જુંગી, મનિષભાઈ માવજીભાઈ લોઢારી અને મુકેશભાઈ પ્રેમજીભાઈ પાંજરી એમ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારબાદ યોજાયેલી પસંદગી પ્રક્રિયામાં બોટ માલિકોએ બહુમતીથી મુકેશભાઈ પ્રેમજીભાઈ પાંજરીને પ્રમુખ તરીકે વરણી કરી હતી. મુકેશભાઈ પાંજરી સતત છઠ્ઠી વખત પોરબંદર માછીમાર બોટ એસોસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ વર્ષોથી માછીમારોના હિતના પ્રશ્નોને રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરી તેના ઉકેલ માટે સતત પ્રયાસશીલ રહ્યા છે. ફિશિંગ સીઝન, હાર્બર, ડ્રેજિંગ, ડીઝલ, સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર તેઓ સતત સક્રિય રહી માછીમાર સમાજનો અવાજ બન્યા છે. તેમના પુનઃચયનથી માછીમાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ઉપસ્થિતોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya