એક પગે અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર મહુવાની નેહાબેન ભટ્ટ બન્યા હિંમત અને આત્મવિશ્વાસનું જીવંત પ્રતિક
ભાવનગર,29 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા શહેરની રહેવાસી નેહા ભટ્ટે અદમ્ય મનોબળ, આત્મવિશ્વાસ અને ભગવાન શિવ પ્રત્યેની અડગ શ્રદ્ધાના બળે એક પગે પવિત્ર અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. બસ અકસ્મા
યાત્રા પૂર્ણ કરનાર મહિલા


ભાવનગર,29 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના મહુવા શહેરની રહેવાસી નેહા ભટ્ટે અદમ્ય મનોબળ, આત્મવિશ્વાસ અને ભગવાન શિવ પ્રત્યેની અડગ શ્રદ્ધાના બળે એક પગે પવિત્ર અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને સૌ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. બસ અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ તેમણે હિંમત હારી નહીં અને જીવનમાં નવા સંકલ્પ સાથે આગળ વધવાનો માર્ગ પસંદ કર્યો.

નેહાબેને જણાવ્યું કે જુલાઈ-2021માં થયેલા અકસ્માત બાદ જીવન ખૂબ મુશ્કેલ બની ગયું હતું. એક સમયે નિરાશા વચ્ચે જીવવાની ઇચ્છા પણ ઓછી થઈ ગઈ હતી, પરંતુ પર્વતારોહક અરુણીમા સિન્હા અને નૃત્યાંગના સુધા ચંદ્રનની જીવનયાત્રાથી પ્રેરાઈ તેમણે સંઘર્ષને જ પોતાની શક્તિ બનાવી. ત્યારબાદ ગિરનાર પર્વતથી યાત્રાની શરૂઆત કરી, કેદારનાથની કઠિન ચઢાણ પૂર્ણ કરી અને હવે અમરનાથ યાત્રા પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. અત્યાર સુધી તેઓ સાત જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છે.

તેમણે જણાવ્યું કે અમરનાથ યાત્રા દરમિયાન તેમની પાસે માત્ર 500 રૂપિયા હતા, છતાં ભગવાન ભોળાનાથ પર અડગ વિશ્વાસ હતો. માર્ગમાં અનેક અજાણ્યા ભક્તોએ ભોજન, નાસ્તો અને અન્ય જરૂરી મદદ કરી. ગુફા નજીક પહોંચતા શરીરે સાથ છોડ્યો ત્યારે બે મહિલા આર્મી જવાનોએ મદદ કરીને પાલખીમાં બાબા બરફાનીના દર્શન કરાવ્યા.

નેહાબેન કહે છે કે જીવનમાં લોકો શું કહે છે તેની ચિંતા કર્યા વિના પોતાના સપનાઓ માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. તેમનો સંકલ્પ હવે બાકીના જ્યોતિર્લિંગો, આદિ કૈલાસ અને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો છે. તેમની આ યાત્રા હિંમત, સંઘર્ષ અને આત્મવિશ્વાસની પ્રેરણાદાયી ગાથા બની છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande