
- વિરંમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી પાસે વિશેષ રાહત પેકેજની માંગ.
અમદાવાદ, 29 જુલાઇ (હિ.સ.) : ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં પડેલા અતિભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોને મોટું નુકસાન થયું છે. અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકનો નાશ થયો છે.અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ અને દેત્રોજ સહિત નળકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે.
આ પરિસ્થિતિને પગલે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી સમક્ષ વિશેષ રાહત પેકેજની માંગ કરી છે. તેમણે તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા રજૂઆત કરી છે.
આ ઉપરાંત, અનેક મકાનોને નુકસાન થયું છે અને માર્ગો સહિતની જાહેર સુવિધાઓ પણ પ્રભાવિત થઈ છે. પશુઓના ચારા અને ખેતીના સાધનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલ છે.
ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સરકારે તાત્કાલિક અધિકારીઓની ટીમ મોકલી નુકસાનનું સર્વેક્ષણ કરાવવું જોઈએ. તેમણે અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી આર્થિક સહાય ચૂકવવા અને પૂરતી મદદ મળી રહે તે માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
હાર્દિક પટેલે રાજ્ય સરકારને અપીલ કરી છે કે કુદરતી આફતથી પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય મળે અને ખેડૂતો, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને આ સંકટમાંથી બહાર લાવવા તાત્કાલિક નિર્ણય લેવામાં આવે.
સ્થાનિક લોકોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર આ રજૂઆતને ગંભીરતાથી લેશે.
ધોલેરા પંથકમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. પાણી ભરાવાને કારણે અનેક ખેતરો અને નિચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કેટલાક આંતરિક માર્ગો પર પણ પાણી ભરાઈ જતાં અવરજવર પ્રભાવિત થવાની શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ