
અમદાવાદ,30 જુલાઇ (હિ.સ.) અમદાવાદના ઠક્કરબાપાનગરમાં એએમસીની દબાણ ખાતાની ટીમ-લારીવાળા વચ્ચે ઘર્ષણ,રોડ પર દબાણ હટાવવાની કામગીરી સમયે પથ્થરમારો કર્યો હતો.
ઠક્કરબાપાનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાની રતનબા કેનાલ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે. ત્યારે રોડ પર લારીવાળાઓ દબાણ કરે છે જેથી કોર્પોરેશનની ઉત્તર ઝોનની દબાણ ખાતાની ગાડીઓ આજે 30 જુલાઈએ સવારે દબાણ હટાવવા ગઈ હતી.
તે દરમિયાન સ્થાનિક લારી વાળાઓ ભેગા થઈ ગયા હતા અને દબાણ ખાતાના કર્મચારીઓ તેમજ મજૂરો સાથે બોલાચાલી કરી હતી. જેમાં ઘર્ષણ બાદ ઉશ્કેરાયેલા લારીવાળાઓએ ગાડીઓ ઉપર પથ્થર મારો કર્યો હતો. એક ગાડીનો પણ કાચ તૂટી ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી.
મળતી માહિતી મુજબ શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં કોઠીયા હોસ્પિટલની પાછળના ભાગે રતનબા કેનાલ રોડ છે. ત્યાં શાકભાજીની લારીવાળાનું દબાણ હોય છે. દરરોજ સવારે અને સાંજે લારીવાળા ઊભા રહી જતા હોય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય છે.
આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લારીવાળા ઊભા રહેતા હોવાથી રોડ બનાવવાની કામગીરી થતી નથી. ત્યારે આજે સવારે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણ હટાવવા પહોંચી હતી.
દબાણ ખાતાની ત્રણ ગાડીઓ સાથે કર્મચારીઓને મજૂરો દબાણ હટાવવા પહોંચ્યા હતા. આ સમયે સ્થાનિક લારીવાળા ત્યાં ભેગા થઈ ગયા હતા અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા કેટલાક લારીવાળાએ કોર્પોરેશનની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. જેમાં એક ગાડીનો કાચ પણ તૂટી ગયો હતો.
ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ગાડીઓ પર પથ્થરમારો થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. કેટલાક લારીવાળા દ્વારા રોડ ઉપર શાકભાજી પણ ફેંકી દેવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા કેટલાક શાકભાજીની લારીવાળાની અટકાયત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ