
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા જામનગર સહિત રાજ્યભરમાં તા.૨ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાને રાખીને તથા બાળકોની સુરક્ષા ધ્યાને લેતા જિલ્લા કલેક્ટર પી.બી.પંડયાના સૂચનો હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી, જામનગર દ્વારા જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ જામનગર શહેરની તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓને તા. ૩૧ જુલાઈ (શુક્રવાર) અને તા. ૧ ઓગસ્ટ (શનિવાર) ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા સૂચના આપવામાં આવી છે.
આ દિવસો દરમિયાન શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફે હેડક્વાર્ટર છોડવાનું રહેશે નહીં અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે. ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિમાં, જો સ્થાનિક તંત્ર દ્વારા જરૂર જણાય તો શાળાઓનો ઉપયોગ શેલ્ટર હોમ (આશ્રયસ્થાન) તરીકે કરવામાં આવશે. તે માટે શાળાઓ ખુલ્લી રાખવાની સાથે વીજળી, પીવાનું પાણી અને શૌચાલય જેવી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt