
સુરત, 30 જુલાઈ (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારના લક્ષ્મણનગરમાં મંગળવારે મોડી રાત્રે થયેલી હત્યાની ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. આશરે પોણા એક વાગ્યાના સમયે 32 વર્ષીય પ્રવીણ ઉર્ફે 'આંબો' આઝાદ કોળીની ઘાતકી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. મૃતક સામે અગાઉ ગુજસીટોક, આર્મ્સ એક્ટ, એનડીપીએસ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જૂની અદાવતના કારણે હત્યા કરવામાં આવી હોવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં કુખ્યાત ભૂષણ પાટીલ સહિત ચાર શખ્સોની સંડોવણી સામે આવી છે. ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે. તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સ્થાનિક સૂત્રો અને વિવિધ ટીમોની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ બનાવ બાદ ડીંડોલી વિસ્તારમાં સુરક્ષાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસે વિસ્તારમાં વધારાનો બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસો શરૂ કર્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને તેમની ધરપકડ માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેસની વધુ તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે