
ગાંધીનગર,30 જુલાઇ (હિ.સ.) ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આજથી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 31 જુલાઈએ અમદાવાદ સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ અને નર્મદા જિલ્લામાં અત્યંત અસાધારણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.
આજે સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતના 24 તાલુકામાં 1 મિમીથી લઈને પોણો ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવતીકાલે અમદાવાદ અને વડોદરાની સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે. અમદાવાદમાં તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોડીરાતથી વડોદરા શહેર-જિલ્લા પર વરસાદનું સંકટ છે.
31 જુલાઈએ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અગ્રસ્થાને 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને સાધનો તથા ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન મોડમાં રહેવા, માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા તેમજ કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા નીચલા સ્તરના લોકો સુધી આપત્તિના સંદેશા સમયસર પહોંચાડી એક્સ્ટ્રા કેર લેવા આદેશ આપ્યા હતા.
બેઠક દરમિયાન રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં વલસાડ-નવસારીમાં 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને ધોળકામાં ટૂંકા સમયમાં 20 ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ કરાયા છે. સુરક્ષા દળોના સંકલનથી દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પહેલાં અગાઉથી અંદાજે 53,600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તથા પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ લોકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ