સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર: કલેક્ટર તેજસ પરમાર
સુરત, 30 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા તા.30 જુલાઈથી 1લી ઓગસ્ટ એમ ત્રણ દિવસ દરમિયાન સુરત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વ
Surat


સુરત, 30 જુલાઈ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા તા.30 જુલાઈથી 1લી ઓગસ્ટ એમ ત્રણ દિવસ દરમિયાન સુરત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સ્થિતિનો સામનો કરવા સજ્જ અને સતર્ક છે. સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે એમ જણાવતા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને સાવચેત તેમજ સતર્ક રહેવા કરી અપીલ કરી હતી.

કલેકટરએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું હળવું દબાણ (લો-પ્રેશર) ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના પગલે સુરત જિલ્લામાં તા.30મીએ ઓરેન્જ એલર્ટ, 31મીએ રેડ એલર્ટ તથા 1લી ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર સંભવિત વરસાદી સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. જિ.વિકાસ અધિકારી દ્વારા તમામ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તેવા નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સ્થળાંતર કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

આ વખતે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા હોવાથી શહેર તેમજ તમામ નગરપાલિકાઓને જર્જરિત, લુઝ સ્ટ્રક્ચર્સ તેમજ હોર્ડિંગ્સ ઉતારી લેવા સૂચના અપાઈ છે એમ જણાવી જિલ્લા કલેક્ટરએ પશુપાલકોને ખાસ અપીલ કરતાં કહ્યું કે, ભારે વરસાદ અને પાણી ભરાવાના સંજોગોમાં બાંધેલા પશુઓ તણાઈ જવાની અને જીવ ગુમાવવાની શક્યતા રહે છે. તેથી આવા સંજોગોમાં પશુઓને તાર અથવા થાંભલા સાથે બાંધી ન રાખતાં ખુલ્લા રાખવા, જેથી તેઓ જાતે સુરક્ષિત સ્થળ પર આશ્રય લઈ શકે.

આવતીકાલે તારીખ 31મીએ અતિભારે વરસાદની શક્યતા હોવાથી, જિલ્લા કલેક્ટરએ તમામ નાગરિકોને હવામાન વિભાગ, જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી અધિકૃત વરસાદી માહિતીને જ અનુસરવા અને કોઈ પણ અફવાથી ગેરમાર્ગે ન દોરાવા તેમજ સ્થિતિનું વાસ્તવિક નજરે અવલોકન કરવા અનુરોધ કર્યો છે.

અનિવાર્ય સંજોગો સિવાય બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. તેમણે જણાવ્યું કે, જિલ્લા તંત્ર ભારે વરસાદ, તીવ્ર પવન સામે નાગરિકોને સુરક્ષિત રાખવા આગોતરા આયોજનમાં છે, પરંતુ નાગરિકો પણ સચેત તથા સાવધાની રાખે, જેથી ભારે વરસાદના આ બે દિવસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande