
જામનગર, 30 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં એક 27 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. પોલીસે મોતની નોંધ કરી કારણ જાણવાની દિશામાં કાર્યવાહી આગળ ધપાવી છે.
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર તાડીયા હનુમાન મંદિર પાછળ આવેલા ગુલાબનગર વિસ્તારમાં તા. 29 જુલાઈના રોજ બપોરે 4 વાગ્યા પહેલાં કોઈપણ સમયે શિલ્પાબેન ધીરૂભાઈ રાઠોડ એ તેમના જૂના મકાનની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાધો હતો.
પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના પિતા ધીરૂભાઈ લધુભાઈ રાઠોડની જાણના આધારે પોલીસે બી.એન.એસ.એસ. કલમ 194 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt