
પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : માર્ગ સલામતીને વધુ સશક્ત બનાવવા તથા
ટ્રાફિક નિયમોના અસરકારક અમલના ભાગરૂપે પોરબંદર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી
(આરટીઓ) દ્વારા છેલ્લા છ માસ દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે
કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસ વિભાગ તરફથી પ્રાપ્ત
થયેલા દરખાસ્તોના અનુસંધાને મોટર વાહન અધિનિયમ અને તેના હેઠળના નિયમોની જોગવાઈઓ
મુજબ કરવામાં આવી હતી.
છેલ્લા 6 માસના સમયગાળા દરમિયાન જોખમી
અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના 19, અકસ્માત સર્જી
માનવજીવનને જોખમમાં મૂકતા મૃત્યુ (ફેટલ અકસ્માત) નિપજાવવાના 21, દારૂ અથવા કેફી પીણાના નશામાં વાહન ચલાવવાના 18 તેમજ અન્ય ગંભીર
ટ્રાફિક નિયમોના ભંગના ૨ કેસોમાં એમ કુલ 60 ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં
આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે માર્ગ અકસ્માતોમાં ઘટાડો
થાય અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે માટે આરટીઓ
દ્વારા સતત દેખરેખ અને કડક અમલવારીની કામગીરી કરવામાં આવી રહી છે.
આરટીઓ દ્વારા તમામ વાહનચાલકોને હેલ્મેટ
અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, નિર્ધારિત
ગતિમર્યાદાનું પાલન કરવા, દારૂ અથવા અન્ય કોઈ પણ પ્રકારના નશાની
હાલતમાં વાહન ન ચલાવવા તેમજ તમામ ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ
કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya