
ભાવનગર, 31 જુલાઈ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગામ અને આસપાસના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત બન્યું હતું. સતત વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ધીમો પડી ગયો હતો.
ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી. એક તરફ વરસાદથી ખરીફ પાકને જીવનદાન મળ્યું છે તો બીજી તરફ વધુ પાણી ભરાઈ રહેતા કેટલાક ખેતરોમાં પાકને નુકસાન થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામના તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક થતાં પાણીના સંગ્રહમાં વધારો નોંધાયો છે. સ્થાનિક લોકોએ ભારે વરસાદ વચ્ચે બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નાળા, પાણીથી ભરાયેલા રસ્તા અને જોખમી સ્થળોથી દૂર રહેવાની અપીલ કરી છે. હવામાનમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હોવાથી લોકો સાવચેતી રાખી રહ્યા છે.
ધોધમાર વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે, જ્યારે વહીવટી તંત્ર પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત સતર્ક બની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA