



પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના નવનિયુક્ત
મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો છે. મહાનગરપાલિકાના
પૂર્વ મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિની અમરેલી ખાતે જિલ્લા વિકાસ અધિકારી
(ડી.ડી.ઓ.) તરીકે બદલી થતાં ટી. સી. તીરથાણીએ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળ્યો
છે.
ચાર્જ સંભાળ્યા બાદ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પરિચય તથા વિવિધ શાખાઓની
કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર ટી. સી. તીરથાણીના
અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ શાખાના અધિકારીઓએ પોતાનો પરિચય આપ્યો હતો,
તેમજ પોતાની શાખાની કામગીરી, ચાલી રહેલા વિકાસકાર્યો અને તાબા હેઠળના કર્મચારીઓની કામગીરી અંગે
વિગતવાર માહિતી રજૂ કરી હતી. બેઠક દરમિયાન વિવિધ શાખાઓના કાર્યની સમીક્ષા કરવામાં
આવી હતી તેમજ નાગરિકોને વધુ અસરકારક અને ઝડપી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો
અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર (વહીવટ)
હર્ષ પટેલ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) મનન ચતુર્વેદી સહિત
મહાનગરપાલિકાના વિવિધ શાખાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya