




- ઘરોમાં માથાડૂબ પાણી ભરાતા ૨ાહત-બચાવ કાર્ય તેજ
કરાયું
- વાલિયા પોલીસ અને લુણા આઉટ પોસ્ટ સ્ટાફે જીવના જોખમે 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા
ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : વાલિયા તાલુકામાં ભારે વરસાદના પગલે કિમ નદી બે કાંઠે વહેતી થઈ હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. કિમ નદીના પૂરના પાણી સોડગામમાં પ્રવેશતા જ હાહાકાર મચી ગયો હતો. ગામના 'બસ સ્ટેશન ફળિયુ' અને 'કસોટા ફળિયુ' જેવા નીચાણ વાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે જોતજોતામાં લોકોના ઘરોમાં માથાડૂબ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિક રહીશો પોતાના ઘરોમાં જ ફસાઈ ગયા હતા.
પૂરની ગંભીર પરિસ્થિતિ અને લોકોના જીવ જોખમમાં હોવાની જાણ થતાં જ વાલિયા પોલીસ મથકના પીઆઈ આર.ડી. ચૌધરી, ડી-સ્ટાફના જવાનો તથા લુણા આઉટ પોસ્ટનો કાફલો તુરંત જ ઘટનાસ્થળે સોડગામ ખાતે દોડી ગયો હતો.
પોલીસ ટીમે માનવતા અને ફરજપરસ્તતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતાં, જીવના જોખમે ધસમસતા પૂરના પાણીમાં ચાલતા ઉતરીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પૂરના પાણીમાં ફસાયેલા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પોતાની બાંધા કે માથા પર બેસાડીને સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડ્યા હતા.
પોલીસ ટીમ દ્વારા સતત કલાકો સુધી ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 100થી પણ વધુ પુરગ્રસ્ત લોકોને સહીસલામત ઉગારી લેવામાં આવ્યા હતા.
સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ વાલિયા પોલીસ વિભાગ, પીઆઈ આર.ડી. ચૌધરી અને સમગ્ર સ્ટાફની આ ત્વરિત, સાહસિક અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ