

પોરબંદર, 31 જુલાઈ (હિ.સ.) નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા જે. શર્માના માર્ગદર્શન હેઠળ આત્માના આસિસ્ટન્ટ ટીમ મેનેજર અશ્વિન મોરી તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ પારસ મારુ દ્વારા કુતિયાણા તાલુકાના કડેગી ક્લસ્ટરના સ્વયંપ્રેરિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ખાપટ ખાતે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખાપટના વડાએ રાજ્યપાલના સતત માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેમજ 'ખેતી બચાવો અભિયાન' અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી દેશના કૃષિ વિકાસ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
વૈજ્ઞાનિક મિલન નંદાણીયા તથા હિતેશભાઈ ઓડેદરાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો- બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન (મલ્ચિંગ) અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત પ્રાકૃતિક અસ્ત્રો જેવા કે અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્કના ઉપયોગ વિશે તેમજ ખરીફ, પિયત, બિનપિયત અને બાગાયતી પાકોમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કેવી રીતે અપનાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની પ્રક્રિયાનું લાઇવ નિદર્શન યોજી ખેડૂતોને પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya