



- ઘણા વર્ષો જૂનું ઘર હોવાથી જર્જરિત થઈ જતા દિવાલ પડતા મોટું નુકસાન થયું હતું
ભરૂચ, 31 જુલાઈ (હિ.સ.) : જંબુસર તાલુકા વિસ્તારમાં માલજીવાળાના મકાનનો એક ભાગ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે દુર્ઘટના સમયે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
જંબુસર તાલુકાના કાવી ગામના મોટા ચકલા વિસ્તારની માલજીવાલા ખડકીમાં આજે યુસુફ હાસીમ માલજીવાલાના ઘરનો એક ભાગ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.
માલજીવાળાના આ મકાનમાં હાલમાં કોઈ રહેતું નહોતું. આ મકાનનો ઉપયોગ માત્ર ઘરવખરી તેમજ ખાવા-પીવાની ખાદ્યસામગ્રી અને અનાજનો સંગ્રહ કરવા માટે જ કરવામાં આવતો હતો. અચાનક મકાનની દીવાલ ધડાકાભેર તૂટી પડતાં મોટું નુકસાન થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના રહેણાંક વિસ્તારમાં થોડા સમય માટે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનીક સરપંચ તેમજ તલાટી ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ઘરના માલિકની મુલાકાત લીધી હતી અને નુકસાની અંગેની જરૂરી માહિતી મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ