
સોમનાથ, 08 જુલાઈ (હિ.સ.) : વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના 1000 વર્ષના સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મહારાષ્ટ્રથી 1080 યાત્રીઓ વિશેષ ટ્રેન દ્વારા વેરાવળ પહોંચ્યા છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સ્વાભિમાન પર્વની શરૂઆત 11 જાન્યુઆરીથી સોમનાથ મંદિર ખાતેથી થઈ હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ ટ્રસ્ટના સંકલનથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
અગાઉ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી વિશેષ ટ્રેન દ્વારા યાત્રીઓને સોમનાથની ધરોહર અને સંસ્કૃતિ જાણવાનો અવસર મળ્યો હતો.
મહારાષ્ટ્રથી આવેલા આ 1080 યાત્રીઓ માટે ત્રણ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા તેમના રહેઠાણ, ભોજન અને આવન-જાવનની સંપૂર્ણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. સવારે 10:30 કલાકે વિશેષ ટ્રેન દ્વારા પધારેલા યાત્રીઓનું જિલ્લા યુવા વિકાસ અધિકારી હરેશકુમાર મકવાણા, અશ્વિનભાઈ સોલંકી (યુવા સાંસ્કૃતિક વિભાગ), પી.વી.ખાંભલા (આચાર્ય, બોઇઝ સ્કૂલ વેરાવળ), તેમજ રેલવે ભાવનગર ડિવિઝન DRUCC મેમ્બર્સ અનિસ રાચ્છ, સ્થાનિક રેલવે સલાહકાર સમિતિના મુકેશ ચોલેરા, લાલચંદ પરશુરામ, પરેશભાઈ કોટિયા, ગજેન્દ્રભાઈ અપારનાથી સહિતના અધિકારીઓએ ફૂલહાર અને સોમનાથ મહાદેવના સ્મૃતિચિહ્નથી સ્વાગત કર્યું હતું.
મહારાષ્ટ્રથી આવેલી આ યાત્રા દરમિયાન યાત્રીઓ બે દિવસ માટે સોમનાથ અને આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. તેઓ ગીર સોમનાથની ધરોહર અને સંસ્કૃતિ વિશે જાણકારી મેળવશે અને સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે.
આ વિશેષ યાત્રામાં મહારાષ્ટ્રથી રેલવે વિભાગમાં સેવા આપતા ZRU ના મેમ્બર્સ કૈલાશ વર્મા પરિવાર સાથે પધાર્યા હતા રેલવે યુઝર્સ કમિટીના અનિસ રાચ્છ તથા મુકેશ ચોલેરા સહિત અધિકારીઓએ તેમનું સ્વાગત કરી રેલવેના પ્રશ્નો સંદર્ભે ચર્ચામાં ભાગ લીધો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જે.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો, સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ, ભાવનગર ડિવિઝન રેલવે વિભાગ અને યુવા સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓ સંકલન સાધીને ફરજ બજાવી રહ્યા છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ