
વડોદરા , 08 જુલાઈ (હિ.સ.) સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને લઈને સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (SUCI) દ્વારા આજે વડોદરામાં વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
SUCIની વડોદરા જિલ્લા સંગઠન સમિતિના કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૂત્રોચ્ચાર સાથે પોતાની રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત વિસ્તારમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પક્ષના આગેવાનોનો આક્ષેપ હતો કે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું તેમણે જણાવ્યું. તેમણે આ પરિસ્થિતિને માનવસર્જિત પૂર ગણાવી જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરી હતી.
આવેદનપત્ર મીના પટેલને સુપરત કરવામાં આવ્યું હતું અને તેને રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત બનાવવા, અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પહોંચાડવા અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે અસરકારક આયોજન કરવાની માંગ પણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે માનવસર્જિત પૂર અંગેનો દાવો SUCI દ્વારા કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર રીતે સરકાર અથવા સંબંધિત તંત્રનો પ્રતિભાવ સામે આવ્યો નથી.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ