
અમરેલી, 08 જુલાઈ (હિ.સ.)
અમરેલી જિલ્લાના કેરીયાચાડ ગામની સીમમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને મૃતદેહને કબજે લીધો હતો.
વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દીપડાના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. વન વિભાગ દ્વારા પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દીપડાના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
ઘટનાને લઈને વન વિભાગે આસપાસના વિસ્તારની પણ તપાસ શરૂ કરી છે. કોઈ ઝેરી પદાર્થ, વીજ કરંટ, અકસ્માત કે અન્ય કારણસર દીપડાનું મોત થયું છે કે કેમ તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. જરૂર જણાય તો ફોરેન્સિક તપાસ પણ કરાશે.
વન વિભાગે સ્થાનિક લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ અંગે કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક વિભાગને જાણ કરે અને અફવાઓથી દૂર રહે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ વન વિભાગ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai