
જૂનાગઢ, 09 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ (શહેર) મામલતદાર કચેરી હેઠળ સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઇન્દીરાગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા તમામ લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ BSA (Beneficiary Satyapan Application) અંતર્ગત લાભાર્થીઓની હયાતીની ખરાઈ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેથી જૂનાગઢ (શહેર) તાલુકાના આ યોજનાઓનો લાભ લેતા તમામ લાભાર્થીઓએ પોતાની હયાતીની ખરાઈ (KYC) કરાવવી ફરજિયાત છે.
તમામ લાભાર્થીઓએ હયાતીની ખરાઈ (KYC) કરાવવા માટે મામલતદાર કચેરી, જૂનાગઢ (શહેર), સહાય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નં. ૧૫, તાલુકા સેવાસદન, જૂનાગઢ ખાતે અથવા સમાજ સુરક્ષા કચેરી, બહુમાળી ભવન, ગ્રાઉન્ડ ફ્લોર, સરદારબાગ, જૂનાગઢ ની કચેરી ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
લાભાર્થીઓએ પોતાની સાથે આધાર કાર્ડ તથા ઓ.ટી.પી. (OTP) માટે મોબાઈલ ફોન અવશ્ય લાવવાનો રહેશે. આ કામગીરી કચેરીના કામકાજના દિવસો દરમિયાન આગામી દિન-૦૮ (આઠ) માં પૂર્ણ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઈ (KYC) ન કરાવવાના કિસ્સામાં લાભાર્થીઓનું પેન્શન બંધ થવાની શક્યતા રહેશે. એમ જૂનાગઢ મામલતદાર (શહેર) ની અખબારી યાદીમાં જણાાવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ