
સુરત, 09 જુલાઈ (હિ.સ.) : સુરતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિએ શહેરના વેપારને ગંભીર અસર પહોંચાડી છે. ખાસ કરીને ટેક્સટાઇલ અને મોબાઇલ એસેસરીઝ માટે જાણીતા પોદાર માર્કેટમાં પાણી ઉતર્યા બાદ ભારે નુકસાનના દૃશ્યો સામે આવ્યા છે. દુકાનો ફરી ખૂલતા વેપારીઓને અંદરનો નાશ જોઈને ભારે આઘાત લાગ્યો. અનેક દુકાનોમાં રાખેલો માલ પાણીમાં બગડી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ, વર્ષોની મહેનતથી ઉભો કરેલો વ્યવસાય એક જ વરસાદમાં ખોરવાઈ ગયો છે. કેટલાક વેપારીઓને તો દુકાન બંધ કરવાનો સમય પણ મળ્યો નહોતો, જેના કારણે મોબાઇલ એસેસરીઝ સહિતનો મોટાભાગનો સ્ટોક સંપૂર્ણપણે નષ્ટ થયો છે. હવે વેપારીઓ માટે ફરીથી વ્યવસાય ઉભો કરવો મોટો પડકાર બની ગયો છે.
વેપારીઓએ સુરતના નાગરિકોને આગામી તહેવારોની સિઝનમાં સ્થાનિક બજારોને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન ખરીદીના બદલે સ્થાનિક દુકાનોમાંથી ખરીદી કરવાની વિનંતી કરી છે. વેપારીઓનું માનવું છે કે ગ્રાહકોનો સહકાર મળશે તો પૂરથી પ્રભાવિત બજારો ફરી ઝડપથી ઉભાં થઈ શકશે અને શહેરનો વેપાર ફરી ગતિ પકડી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે