
સોમનાથ,09 જુલાઈ (હિ.સ.) ગઈકાલે રાજ્ય સરકારે 20 મીટરથી વધુ લંબાઈ ધરાવતી માછીમારી માટે વપરાતી યાંત્રિક બોટને પણ વેટમાં રાહત આપવાનો માછીમારી હિતલક્ષી નિર્ણય લીધો હતો.
રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા વેરાવળ ખારવા સમાજના પ્રમુખ જીતુ કુહાડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો આ નિર્ણય સમગ્ર માછીમાર સમાજ માટે આવકારદાયક છે
આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારે 20 મીટરથી વધુ લંબાઈની બોટને પણ વેટ લાભ માટે આવરી લઈ તેને લાભ આપવાનો જે નિર્ણય લીધો છે. તેનાથી સમગ્ર રાજ્યની 18000 થી વધુ માછીમારી કરતી બોટ અને વેરાવળની છ થી સાત હજાર બોટને પણ આ નિર્ણયથી ફાયદો થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સોમનાથ જિલ્લામાં ખાસ કરીને વેરાવળ સમગ્ર રાજ્યમાં મત્સ્યોદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. આ ઉપરાંત માછીમારીના સંલગ્ન ઉદ્યોગ સાથે પણ અનેક લોકો સંકળાયેલા છે ત્યારે માછીમારી લક્ષી આ નિર્ણયથી માછીમારી ઉદ્યોગને બળ મળશે.
રાજ્ય સરકાર માછીમારોના હિતને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી પર અનેક પ્રકારના પ્રોજેક્ટથી મત્સ્યોદ્યોગને કઈ રીતે વિકસિત કરી શકાય તે માટે અનેક યોજનાઓ અને સબસિડીઓ દ્વારા લાભ આપી રહી છે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ડીઝલમાં આ વેટનો લાભ આપવા માટે ફિશિંગ બોટની નોંધણી અને માન્ય માછીમારીનું લાયસન્સ હોવું જોઈએ. તેનો ઉલ્લેખ છે ત્યારે, સાગરપટ્ટાના સાગરખેડૂઓ આ પ્રક્રિયા સત્વરે પૂરી કરી લે જેથી તેમને આ સહાય મેળવવામાં કોઈ તકલીફ પડે નહીં.
રાજ્ય સરકાર વખતોવખત મત્સ્યસંપદાના વિકાસ અને સંવર્ધન માટે સતત કાર્યરત છે. આ વધુ એક માછીમારોના હિતનો નિર્ણય છે. જેને હું માછીમાર સમાજ વતીથી આવકારું છું.
--
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ