
સુરત, 09 જુલાઈ (હિ.સ.) : સુરત શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ આપત્તિગ્રસ્ત પરિવારોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તત્કાલ સર્વે કરીને કેશડોલ્સ રોકડ સહાયની એનાયત કરવામાં આવી રહી છે. શહેરના કતારગામ હળપતિવાસ, આંબા તલાવડી વિસ્તારના અસરગ્રસ્તોને જિલ્લા કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરીના અધિકારી-કર્મચારીઓ દ્વારા ઝડપભેર સર્વે કરી અબ્રામા વિસ્તારમાં રૂ.એક લાખ અને કઠોર, ગોથાણ વિસ્તારમાં એક લાખ મળી બે લાખની સહાય ઘરે ઘરે જઈને ચૂકવવામાં આવી છે.
પ્રાંત અધિકારી(ઉત્તર) નેહાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આગામી બે દિવસમાં અબ્રામા અને કતારગામ તાલુકા વિસ્તારમાં તત્કાલ સર્વે કરીને અંદાજે 15 થી 20 લાખની સહાયની ચૂકવણી કરવામાં આવશે. નોંધનીય છે કે, અસરગ્રસ્તોને ઝડપી સહાય મળી રહે તે માટે સમગ્ર શહેર-જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા ઝડપી સર્વે કરીને કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે