
સોમનાથ 09 જુલાઈ (હિ.સ.) જૂનાગઢવાસીઓ હવે યોગમય જીવનશૈલી તરફ વળ્યા છે. શહેરમાં આશરે 150 જેટલા યોગ ક્લાસ કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા અને ઝોન કો-ઓર્ડિનેટર ચેતના ગજેરાએ જણાવ્યું હતું કે, આજના ભાગદોડ અને તણાવભર્યા જીવનના કારણે લોકોનો યોગ તરફ ઝુકાવ વધ્યો છે. ઉપરાંત ડાયાબિટીસ, સ્થૂળતા, પેટના દર્દો સહિતના અન્ય રોગોથી લોકો પરેશાન જોવા મળે છે. આ સ્થિતિમાં લોકો યોગને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે.તેમણે જણાવ્યું કે, યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તો ફાયદારૂપ છે જ, સાથે જ મેદસ્વિતા ઘટાડવામાં પણ કારગર છે.
જૂનાગઢ શહેરમાં આજે 150 જેટલા યોગ ક્લાસ કાર્યરત છે. આ યોગ ક્લાસ શહેરના દરેક વોર્ડમાં આવેલા છે. અહીં તાલીમબદ્ધ યોગ કોચ કે ટ્રેનર દ્વારા નિયમિત રીતે યોગાસન અને પ્રાણાયામ કરાવવાની સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ઉપરાંત, સમયાંતરે નેચરોપેથી, ધ્યાન યોગ શિબિર વગેરેનું પણ આયોજન કરવામાં આવે છે.
જૂનાગઢ મહાનગરપાલિકાના કો-ઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા દ્વારા શહેરમાં ચાલતા યોગ ક્લાસનું જરૂરી સંકલન કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારે સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત અભિયાન શરૂ કર્યું છે. ખાસ કરીને લોકોમાં બેઠાડુ જીવનશૈલીના પરિણામે મેદસ્વિતાનું પ્રમાણ વધ્યું છે અને તેના કારણે ગંભીર બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે. ત્યારે લોકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવે તે માટે જનજાગૃતિ કેળવવાની સાથે લોકો યોગ અપનાવે તે માટે પણ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ