
અમરેલી,01 ઓગસ્ટ (હિ.સ.)
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને દરિયામાં પ્રતિકૂળ પરિસ્થિતિની આગાહી કરવામાં આવ્યા બાદ અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાં જોવા મળ્યા હતા. દરિયાની સ્થિતિ ઉગ્ર બનતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે.
દરિયામાં ભારે કરંટને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંદર પર પહેલાથી જ જરૂરી ચેતવણીના સિગ્નલ ફરકાવવામાં આવ્યા છે અને તમામ માછીમારોને પોતાની બોટ સુરક્ષિત સ્થળે બાંધી રાખવા તેમજ દરિયાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા દરિયાકિનારે અનાવશ્યક ભીડ ન કરવા અને પ્રવાસીઓએ પણ દરિયાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે.
સ્થાનિક વહીવટી તંત્ર, મેરિટાઈમ બોર્ડ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હવામાનની સ્થિતિમાં ફેરફારને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. તંત્રએ લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. આગામી દિવસોમાં પણ ભારે વરસાદ અને દરિયામાં ઉગ્ર સ્થિતિ રહેવાની શક્યતા હોવાથી સતર્ક રહેવું જરૂરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai