
- અમદાવાદમાં પાણી ભરાયા, રાજકોટમાં લોકોને એલર્ટ રહેવા એનાઉન્સમેન્ટ
અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યમાં 24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ પડ્યો છે. બે દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નવસારીમાં કરંટ લાગતા 3 લોકોના મોત, જ્યારે આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકના તણાવાથી એક બાળકીનું મોત થયું અને બે બાળકનો બચાવ થયો હતો. બીજી તરફ, છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી એમ બે યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું.
આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી-ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
હવામાન વિભાગના નાવકાસ્ટ મુજબ, આગામી 3 કલાક (1 વાગ્યા સુધી) કચ્છ, મોરબી, જામનગર, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને આણંદમાં 41થી 61 કિમી/કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત સહિત રાજ્યના બાકીના તમામ જિલ્લાઓ અને સંઘપ્રદેશોમાં મધ્યમ વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. ભારે વરસાદ અને વાવાઝોડાના પગલે વૃક્ષો ધરાશાયી થવા તથા પાણી ભરાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, નીચાણવાળા કે નદીકાંઠાના વિસ્તારમાંથી સલામત સ્થળે ખસી જવા અને પશુઓને યોગ્ય આશ્રય આપવા સૂચના અપાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ