
નવસારી/અમદાવાદ,01 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાતમાં ચોમાસું ચરમસીમાએ પહોંચતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાતા રોડ-રસ્તા બંધ, ટ્રાફિકજામની સમસ્યા, ઘરમાં પાણી ઘૂસી જવા તથા સાપ-મગર જેવા જીવજંતુઓનો ડર ફેલાયો છે. છેલ્લા અઠવાડિયાનાં મેઘતાંડવથી મોટાભાગના નદી-નાળા અને તળાવો વરસાદી પાણીથી છલકાયા છે અને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ અતિ ભારે વરસાદને કારણે અનેક ગામો બોટમાં ફેરવાતા સ્થાનિકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, આ પરિસ્થિતિને કારણે ગુજરાતમાં જનજીવન ખોરવાયું છે.
નવસારીમાં જળ-બંબાકાર અને તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના લોકો પર આકાશી આફત આવી પડી છે. વાઘરેચ ટાઇડલ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં કાવેરી નદીના પાણીને ગામમાં પ્રવેશતા રોકવા માટે બનાવાયેલ ડ્રેઈન પાળો મોડી રાત્રે અચાનક તૂટી ગયો હતો.
વાઘરેચ નાયકી વાડ બાજુનો પાળો તૂટવાના કારણે વાઘરેચ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે, તો આ તરફ પાળો તૂટતાં જ કાવેરી નદીના પ્રચંડ પ્રવાહ વાઘરેચ ગામ સહિત બીલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા યમુના નગર, શ્યામનગર, નીલ નગર, પ્રજાપતિ કોલોની અને નારિયેલી ચાલીમાં ફરી વળ્યા છે.
કાવેરી નદી પોતાની 19 ફૂટની ભયજનક સપાટી વટાવીને 25 ફૂટની વિકરાળ સપાટીએ વહી રહી છે. જેના પરિણામે વાઘરેચ ગામના ઘરોમાં 7 ફૂટથી પણ વધુ પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
વાઘરેચ ટાઇડલ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં કાવેરી નદીના પાણીને ગામમાં પ્રવેશતા રોકવા માટે બનાવાયેલ ડ્રેઈન પાળો મોડી રાત્રે અચાનક તૂટી ગયો હતો. વાઘરેચ નાયકી વાડ બાજુનો પાળો તૂટવાના કારણે વાઘરેચ ગામ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયું છે, તો આ તરફ પાળો તૂટતાં જ કાવેરી નદીના પ્રચંડ પ્રવાહ વાઘરેચ ગામ સહિત બીલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા યમુના નગર, શ્યામનગર, નીલ નગર, પ્રજાપતિ કોલોની અને નારિયેલી ચાલીમાં ફરી વળ્યા છે. કાવેરી નદી પોતાની 19 ફૂટની ભયજનક સપાટી વટાવીને 25 ફૂટની વિકરાળ સપાટીએ વહી રહી છે. જેના પરિણામે વાઘરેચ ગામના ઘરોમાં 7 ફૂટથી પણ વધુ પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
બીજી તરફ વલસાડ જિલ્લાના ઉપરવાસમાં પડેલા મુસળધાર વરસાદના કારણે મોડી રાતથી ઔરંગા નદીમાં પૂરની ભયાનક પરિસ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી પીચિંગ વિસ્તારમાં ફરી વળતાં તેને જોડતો મુખ્ય બ્રિજ તત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર સતત વધતાં પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવાની (સ્થળાંતર) કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ તરફ, મધ્ય ગુજરાતના દાહોદ શહેરમાં દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મોડી રાત્રે મુસળધાર વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 51 મીમી જેટલો વરસાદ નોંધાતાં શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વરસાદ દરમિયાન શહેરના પોલીસ લાઈન પાછળના રસ્તે એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈને કાર પર પડતાં કારને નુકસાન પહોંચ્યું હતું. જોકે આ વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ