
અમરેલી,18 ઓગસ્ટ (હિ.સ.) સાવરકુંડલાની પવિત્ર ધરતી પર રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા નિર્માણ પામવા જઈ રહી છે. આ ઐતિહાસિક પ્રતિમા સાવરકુંડલાની આગવી ઓળખ બનવાની સાથે નવી પેઢી માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે.
આજરોજ ગુજરાત સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા સાંસદ ભરતભાઈ સુતરીયા સાથે પ્રતિમા સ્થળની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્થળ પર ચાલી રહેલી વિવિધ તૈયારીઓ અંગે અધિકારીઓ અને સંબંધિત જવાબદારો પાસેથી જરૂરી વિગતો મેળવી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
સરદાર સાહેબે દેશના વિવિધ રજવાડાઓને એકત્રિત કરીને ભારતની એકતા અને અખંડિતતા મજબૂત કરવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમનું અડગ વ્યક્તિત્વ, રાષ્ટ્રપ્રેમ, દૃઢ નેતૃત્વ અને રાષ્ટ્રસેવાનો સંદેશ આજે પણ દેશવાસીઓને પ્રેરણા આપે છે.
સાવરકુંડલામાં આ ભવ્ય સ્મારકનું નિર્માણ પૂર્ણ થયા બાદ તે માત્ર પ્રતિમા નહીં, પરંતુ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને દેશસેવાની ભાવનાનું પ્રતીક બની રહેશે. આવનારી પેઢીઓ સરદાર સાહેબના જીવન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનથી પ્રેરણા લેતી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai