બિહારના રાજ્યપાલે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ઇન્ફોર્મેશન વોરફેર અંગેના પ્રમાણપત્ર અભ્યાસક્રમની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
ગાંધીનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર (IW) પર એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય વર્તમાન સુરક્ષા
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી


રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી


ગાંધીનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝ દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર (IW) પર એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય વર્તમાન સુરક્ષા વાતાવરણમાં IW ના મૂળભૂત વિભાવનાઓ, સિદ્ધાંતો, વિકાસ અને વ્યૂહાત્મક મહત્વ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. ઉદ્ઘાટન સત્રને ભારતમાં આ વિષયના પ્રણેતાઓમાંના એક, બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત), PVSM, UYSM, AVSM, SM, VSM અને બાર દ્વારા સંબોધિત કરવામાં આવ્યું હતું.

લેફ્ટનન્ટ જનરલ હસનૈને માહિતી યુદ્ધને સતત ચાલતા જ્ઞાનાત્મક રણમેદાન તરીકે વર્ણવ્યું હતું જેમાં પરંપરાગત લશ્કરી સંપત્તિઓ કરતાં માન્યતાઓ અને કથાનકો (નેરેટિવ્સ)નો પ્રભાવ વધુ શક્તિશાળી બન્યો છે. તેમણે સોશિયલ મીડિયાને એક ફોર્સ મલ્ટીપ્લાયર તરીકે વિસ્તૃત રીતે સમજાવ્યું જેણે માહિતીના પ્રવાહને એકમાર્ગીયમાંથી બહુ-દિશાસૂચક મોડેલમાં રૂપાંતરિત કર્યો છે, અને અસરકારક માહિતી કામગીરી માટે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે વ્યૂહાત્મક સંચારના “10 Cs” - સંદર્ભ (Context), સ્પષ્ટતા (Clarity), ગ્રાહક/શ્રોતા (Customer), વિશ્વસનીયતા (Credibility), સુસંગતતા (Consistency), સંકલન (Coordination), કાલક્રમ (Chronology), પરિવર્તન સજ્જતા (Change readiness), જોડાણો (Connections), અને વળતો જવાબ અને છુપાવા (Counter & Conceal) નો પુનરોચ્ચાર કર્યો હતો. ઈરાન, આરબ સ્પ્રિંગ અને જમ્મુ અને કાશ્મીર સહિતના કેસ સ્ટડીઝનો સંદર્ભ આપતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગોળીઓ વ્યક્તિઓને અસર કરે છે, જ્યારે નેરેટિવ્સ (કથાનકો) હજારો લોકોને પ્રભાવિત કરી શકે છે. વધુમાં, તેમણે આધુનિક સંઘર્ષોમાં માહિતી યુદ્ધ વિશે પણ વાત કરી હતી - માહિતી અને પ્રભાવ કામગીરી એ હાઇબ્રિડ અને ગ્રે ઝોન વોરફેર સહિતના તમામ પ્રકારના સંઘર્ષોમાં અવિભાજ્ય અંગ છે. યુદ્ધક્ષેત્ર ભૌતિક ક્ષેત્રથી આગળ વધીને જ્ઞાનાત્મક અને માહિતી પ્રદેશોને પણ આવરી લે છે.

RRU ના પ્રો-વાઇસ ચાન્સલર પ્રો. ડૉ. કલ્પેશ વાંદરાએ પ્રાસ્તાવિક સંબોધન આપ્યું હતું, જેમાં તેમણે માહિતીને રાષ્ટ્રીય સુરક્ષામાં શસ્ત્ર અને ઢાલ બંને તરીકે વર્ણવી હતી, જે મજબૂત, સુરક્ષિત અને આત્મનિર્ભર ડિજિટલ ભારત માટેના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત છે. સ્વાગત પ્રવચન સ્કૂલ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના નિયામક ડૉ. આશુતોષ મુકુંદ પાંડે દ્વારા આપવામાં આવ્યું હતું અને સત્રનું સંચાલન RRU ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. અપર્ણા વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. 18 થી 23 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાનાર આ અભ્યાસક્રમમાં માહિતી યુદ્ધના મૂળભૂત સિદ્ધાંતો, મનોવૈજ્ઞાનિક યુદ્ધ, પ્રાદેશિક કેસ સ્ટડીઝ અને સાયબર કામગીરી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સોશિયલ મીડિયા સાથે માહિતી યુદ્ધના આંતરછેદનું વ્યાપક કવરેજ શામેલ છે, જે સ્કૂલ ઓફ ઈન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસરો ડૉ. અપર્ણા વર્મા અને ડૉ. પરમજીત સિંહ દ્વારા સંકલિત કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે મેજર જનરલ (ડૉ.) બિપિન બક્ષી (નિવૃત્ત), AVSM, VSM અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ભૂતપૂર્વ કાયમી પ્રતિનિધિ રુચિરા કમ્બોજનું વ્યાખ્યાન સત્ર યોજાયું હતું, જેમણે IW અને વ્યૂહાત્મક સંચારમાં રાજદ્વારીઓની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર એ એક જટિલ મંચ છે જ્યાં દરેક સભ્ય દેશ પોતાની એક અલગ દ્રષ્ટિ અને કથાનક (નેરેટિવ) લાવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande