




હાથકુંડી નાળુ ધોવાઈ જતા ટીડીઓ અને તાલુકા પંચાયત પ્રમુખએ સ્થળ પર જઈ તાગ મેળવ્યો
લોકો જીવના જોખમે બે થાંભલા પરથી નદી પાર કરવા હતા મજબુર
હાથાકુંડી ગામે મજબૂત અને નવો કાયમી પુલ બનાવવા ગ્રામજનોની પ્રબળ માંગ છે
ભરૂચ 18 ઓગસ્ટ (હિ.સ.)
હાથાકુંડી ગામે ખાડી પરનો કાયમી પુલ ધોવાઈ જતાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. આ બનાવના અહેવાલો હિન્દુસ્થાન સમાચારમાં આવતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ટીડીઓ હરેશ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ મગન વસાવાએ સ્થળ પર પહોંચી તૂટેલા નાળાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તંત્ર દ્વારા હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.સિમેન્ટના પાઇપો મૂકી તેની ઉપર નદીના ગ્રાવલ નાખી રસ્તો હાલ પૂરતો ચાલુ કરી દેવામાં આવ્યો છે .પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી રેલ આવે તો દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક ધોરણે નવો અને મજબૂત કાયમી પુલ બનાવવાની સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.
હાથાકુંડી ગામે આવેલી ટોકરી નદી પરનો કાયમી પુલ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર અને ગ્રામજનોની સુરક્ષા સામે મોટું સંકટ ઊભું થયું હતું. ઘટનાના પગલે સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ તાત્કાલિક હાથકુંડી ગામની મુલાકાત લીધી હતી.નિરીક્ષણ કરી ગ્રામજનોને અવરજવર કરવા કોઈ મુશ્કેલી ના પડે એટલે વૈકલ્પિક રસ્તો ચાલુ કર્યો છે.
નેત્રંગના મામલતદાર કલ્પેશ ગળિયા અને ટીડીઓના આદેશ અનુસાર મૌઝા ગામના સરપંચ ચંદુ ચૌધરી અને તેમની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. નાળાનું રિપેરિંગ કામ પૂર્ણ કરી હાલ પૂરતો વૈકલ્પિક રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો છે.આ વૈકલ્પિક માર્ગ શરૂ થવાથી હાથકુંડી અને તેની આસપાસના ગ્રામજનોને અવરજવરમાં મોટી રાહત મળી છે. ખાસ કરીને ખેડૂતો અને ખેતમજૂરો ,શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ
અને નોકરિયાત વર્ગને હવે આવાગમનમાં સરળતા રહેશે.
અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તૂટેલા નાળા તેમજ હાલમાં ચાલી રહેલી વૈકલ્પિક કામગીરીનું ખૂબ જ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, હાલ તંત્ર દ્વારા ગ્રામજનોની અવરજવર માટે માત્ર વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પણ આ કામગીરી કામચલાઉ હોવાથી સ્થાનિક લોકોમાં હજુ પણ કાયમી ધોરણે ઉકેલ નથી આવ્યો.
ટોકરી નદી પરનો કાયમી પુલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હોવાથી ગામજનોની દૈનિક સુરક્ષા પર સતત જોખમ તોળાઈ રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ચોમાસા દરમિયાન અથવા ભારે પાણીના પ્રવાહમાં આ વૈકલ્પિક વ્યવસ્થા પણ ધોવાઈ જવાની પૂરતી શક્યતાઓ રહેલી છે.
ભવિષ્યમાં ગામના લોકો, શાળાએ જતા બાળકો કે વાહનચાલકો સાથે કોઈ મોટી દુર્ઘટના કે હોનારત ન સર્જાય તે માટે તંત્ર વિલંબ કર્યા વગર જાગે તે જરૂરી છે. હાથકુંડી ગામે વહેલી તકે એક નવો અત્યંત મજબૂત કાયમી પુલ બનાવવામાં આવે તેવી ગામજનોની પ્રબળ અને એકસૂરે માંગણી ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ