
પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) પાટણ એમ.ટી. શાખામાં ફરજ બજાવતા કિરીટસિંહ પરમારે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પોતાના વતન સરસ્વતી તાલુકાના રવિયાણા ગામે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.
આ પ્રસંગે રવિયાણા ગામની બંને આંગણવાડીના બાળકોને કિરીટસિંહ પરમારે ફ્રુટનું વિતરણ કર્યું હતું. ફ્રુટ મળતાં બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બાળકો સાથે જન્મદિવસની ખુશી વહેંચી તેમણે સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત, તેમણે ગામની લાઇબ્રેરી ખાતે યથાશક્તિ શૈક્ષણિક દાન પણ આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણને પ્રોત્સાહન મળે અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ દાન કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ