
પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.) રાધનપુર તાલુકાના સિનાડ ખાતે સંત શ્રી રવિદાસજીની 650મી જન્મજયંતી નિમિત્તે તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંત રવિદાસજીના જીવન, વિચારો અને સમાજસુધારણામાં તેમના યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા સ્તરે કળશ અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, તાલુકા પ્રમુખ રમેશ પરમાર, ભાજપ તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર, APMC ચેરમેન બાબુ ચૌધરી અને તાલુકા યુવા મોરચાના પ્રમુખ હરેશ ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ સંત રવિદાસજીના સમાનતા, ભાઈચારા અને એકતાના સંદેશને યાદ કરી સૌને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી. કાર્યક્રમથી સિનાડ ખાતે ધાર્મિક અને સામાજિક એકતાનો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ