


ભરૂચ.18 ઓગસ્ટ (હિ.સ.) ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના નવચૂંટાયેલા સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા ચૂંટાયેલા પંચાયત સભ્યોને પંચાયતી રાજ વ્યવસ્થા, ગ્રામ વિકાસ, સ્થાનિક સ્વરાજ્યની કામગીરી તેમજ સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને વ્યવહારુ સમજ પૂરી પાડવાનો છે.
કાર્યક્રમમાં પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમની જવાબદારીઓ અને સત્તાઓ અંગે માહિતગાર કરવામાં આવશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, લોકોની ભાગીદારી અને અસરકારક વહીવટ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્વારા એઆઈએ હોલ જીઆઈડીસી અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. તાલીમ થકી નવા ચૂંટાયેલા સભ્યોમાં વહીવટી ક્ષમતા વધે અને તેઓ પોતાના વિસ્તારના વિકાસકાર્યો વધુ અસરકારક રીતે હાથ ધરી શકે તેવો મુખ્ય ઉદ્દેશ હતો.
જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ માટે યોજાનાર આ તાલીમ કાર્યક્રમને ગ્રામ વિકાસ અને સ્થાનિક સ્વરાજ્યને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ