
- ડીજીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા.- ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોતની તપાસ એસએમસી ને સોંપાઈ.
અમદાવાદ, 19 ઑગસ્ટ (હિ.સ.) : રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હીની મુલાકાત પૂર્ણ કરીને મોડી રાત્રે અમદાવાદ આવ્યા બાદ મોડી રાત્રે એરપોર્ટ પર ઇમરજન્સી મિટિંગ કરી હતી. રાજ્યના ડીજીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્ય પોલીસ વડા જી.એસ મલિક અને આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સૂત્રો મુજબ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત ઉચ્ચ IAS અધિકારીઓ સાથે વાયબ્રન્ટ ગુજરાત માટે વિદેશ પ્રવાસે ગયા હતા.
દરમિયાનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ગયા હતા અને મંગળવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પાછા ફર્યા હતા. તેમના આગમન પહેલાં જ ગુજરાતના પોલીસ વડા જી.એસ.મલિક સહિતના અધિક પોલીસ મહાનિર્દેશક તેમજ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ