



પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.)સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ‘વીર રવિદાસ મહારાજ સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પોરબંદરમાં ભવ્ય કલશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત રવિદાસ મહારાજના જન્મસ્થળની પવિત્ર માટીનો કલશ કર્ણાવતીથી રથ સાથે પોરબંદર પહોંચ્યો હતો.17 ઓગસ્ટના રોજ સવારે 9 વાગ્યે ભાવેશ્વર મહાદેવ મંદિરથી કલશ યાત્રાનો પ્રારંભ થયો હતો. યાત્રા હાર્મની હોટલ, રામ ગેસ્ટ હાઉસ સહિતના નિર્ધારિત માર્ગો પરથી પસાર થઈ પુનઃ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે સમરસતા, એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો.યાત્રામાં રાજકોટના પૂર્વ મેયર પ્રદીપ ડવ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કારગટિયા સહિતના આગેવાનો જોડાયા હતા. મોટી સંખ્યામાં માતા-બહેનોએ માથે કલશ ધારણ કરી યાત્રામાં ભાગ લીધો હતો. વિવિધ સમાજના આગેવાનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિથી યાત્રા ભવ્ય બની હતી. સંત રવિદાસ મહારાજના આદર્શોને જીવનમાં ઉતારવા તેમજ સમાજમાં ભાઈચારો અને સમરસતા વધારવાનો સંકલ્પ લેવાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya