
પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) : માધવપુરનો દરિયો જેટલો રળિયામણો અને મનમોહક છે, તેટલો જ ચોમાસાની સિઝનમાં બિહામણો બની જાય છે. દરિયામાં ઊંચા મોજા અને પાણીના પ્રવાહને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં અહીં અવારનવાર દુર્ઘટનાઓ બની છે. આવી જ વધુ એક ઘટનામાં ઉત્તરપ્રદેશથી આવેલા યાત્રાળુ દંપતી પૈકી અંજલિબેન હરિમોહન શર્માનું દરિયાના મોજામાં તણાઈ જતાં મોત થયું હતું.
માધવપુરના દરિયામાં પગ બોળવા ગયેલા અંજલિબેન અચાનક મોજામાં તણાઈ ગયા હતા. પત્નીને બચાવવા માટે પતિ હરિમોહન શર્મા પણ દરિયામાં પડ્યા હતા અને તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક યુવાનો અને લોકોએ બંનેને દરિયામાંથી બહાર કાઢ્યા હતા. અંજલિબેનના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો, જ્યારે પતિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટનાએ ફરી એકવાર માધવપુરના દરિયાકાંઠે સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે. ચોમાસા દરમિયાન દરિયામાં અચાનક ઊંચા મોજા ઉછળતા હોય છે અને પાણીનો પ્રવાહ પણ જોખમી બની જાય છે. આવા સમયે સહેલાણીઓ અને યાત્રાળુઓ દરિયાની નજીક જતી વખતે ખાસ સાવચેતી રાખે તે જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી આવી ઘટનાઓને જોતા તંત્ર દ્વારા પણ દરિયાકાંઠે જરૂરી તકેદારીના પગલાં લેવા જરૂરી છે. જોખમી વિસ્તારોમાં ચેતવણીના બોર્ડ, સુરક્ષા કર્મચારીઓની તૈનાતી અને લોકોને દરિયામાં ન જવા અંગે સતત જાગૃતિ કરવામાં આવે તો અકસ્માતો અટકાવી શકાય. કુદરતી સૌંદર્ય માણવા આવતા સહેલાણીઓની સુરક્ષા માટે તંત્ર અને લોકો બંનેની સાવચેતી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya