
જામનગર, 24 ઓગસ્ટ (હિ.સ.) વર્ષ 1990માં જામનગર કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોનાની દાણચોરી અંગેની તથા ગેરકાયદેસર રીતે સોનાની આયાત કરવા અંગેની ફરીયાદમાં આરોપીઓ ની જામીન અરજી રદ કરતી જામ ખંભાળીયાની કોર્ટ.કસ્ટમ વિભાગ નાં સ્પે.પી.પી. જમન કે. ભંડેરી ની દલીલો ગ્રાહય રાખી અદાલતે આરોપીઓની જામીન અરજી ના મંજૂર કરેલ.આ કેસ ની હકીકત એવી છે કે,06/12/1990નાં રોજ જામનગરનાં કસ્ટમ વિભાગને એવી બાતમી મળેલ કે એમ.એસ.વી 'સઈફ-અલા' બી.ડી.આઈ-946 નામનું વાહણમાં દાણચોરીનું સોનું લઈને આવી રહયુ છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ 06/12/1990 નાંરોજ બોટમાં પેટ્રોલીંગમાં નિકળેલ હતા તે દરમ્યાન 08/12/1990 નાં રોજ સવારે સલાયા પાસે કાળુભાર ટાપુની નજીક એક વહાણ દુબઈ થી આવતુ જણાયેલુ જેથી અધિકારીઓ દ્વારા તે વહાણ ઉભુ રાખવા માટે સીગ્નલ આપી વહાણ ઉભુ રખાવવામાં આવેલ અને વહાણ ને જામનગરનાં નવા બંદરે લઈ જવા જણાવેલ જેથી ખલાસીઓ તથા ટંડેલ વહાણ ને જામનગર મુકામે લઈ આવેલ તથા કસ્ટમ વિભાગનાં અધિકારીઓ દ્વારા ખલાસીઓ તથા ટંડેલની પુછપરછ કરતા જાણવા મળેલ કે, વહાણનાં એન્જીન નજીક ડીઝલની ટાંકીમાં દાણચોરીનું સોનું છે. જેથી અધિકારી દ્વારા ખલાસીઓ ની મદદ થી ડીઝલ ની ટાંકી ખાલી કરાવેલી અને ડીઝલની ટાંકી માંથી 27 બેલ્ટ અને 7 જેકેટ સોના નાં બીસ્કીટનાં મળી આવેલા. ત્યારબાદ વહાણનાં ટંડેલ અને ખલાસીઓ ની અંગ જડતી કરવામાં આવેલ અને ટંડેલનાં ખીસ્સા માંથી દસ રૂપીયાની ભારતીય ચલણ ની નોટ અને એક વિઝીટીંગ કાર્ડ મળી આવેલ અને તેના ઉપર લાધુભાઈ કેશવ લોઢારી, બંદર રોડ, પોરબંદર પ્રિન્ટીંગ થયેલ હતુ તથા ટેલીફોન નંબર લખેલા હતા અને તે આ કેસનાં આરોપી નં.5 મમુમીયા પંજુમીયા સાથે સંકડાયેલા હતા.કસ્ટમ વિભાગ દ્વારા સદર દાણ ચોરીનું સોના નું પંચનામું કરીને ટીન બોક્ષમાં મુકી પંચો, ટંડેલ તથા ખલાસીઓ ની રૂબરૂમાં સોનું જપ્ત કરવામાં આવેલ. ત્યારબાદ તપાસ દરમ્યાન સદર ગુન્હામાં કુલ 17 આરોપીઓનાં નામ ખુલતા વર્ષ 1992ની સાલમાં કસ્ટમ વિભાગ દ્વારા સોના ની દાણચોરી તથા ગેરકાયદેસર રીતે સોના ની આયાત કરવા અંગે આરોપીઓ વિરૂધ્ધ જામનગર ની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ તથા કેસ ચાલી જતા 17 આરોપીઓ પૈકી મળી આવેલ અમુક આરોપીઓ ને જે તે સમયે અદાલત દ્વારા દોષિત ઠરાવી સજા કરવામાં આવેલ હતી અને ત્યારબાદ સદર કેસ હાઈકોર્ટ દ્વારા જામનગર ની અદાલતમાં રીમાન્ડ થઈ આવતા જયુરીડીકશન નાં કારણોસર સદર કેસ જામનગર ની અદાલત માંથી હાલમાં જામખંભાળીયાની અદાલતમાં ટ્રાન્સફર થતા તે અનુસંધાને અદાલતમાં કસ્ટમ વિભાગનાં સ્પે.પી.પી જમનકુમાર ભંડેરી દ્વારા 17 આરોપીઓ પૈકી 8 આરોપીઓ મમુર્મીયા પંજુમીયા સૈયદ, ઓસમાણ દાઉદ કારા,હુસેન કાસમ સંઘાર, સતાર અબ્બાસ કારા, જાનુસ અબ્દુલ સંઘાર, કાસમ બચુ સંઘાર, રજાક જાકુ મોદી તથા અનવર અયુબ કારા વિરુધ્ધ વોરંટ અરજી આપવામાં આવેલ.જેથી આરોપીઓ દ્વારા અદાલતમાં જામીન અરજી મુકવામાં આવેલી અને તેની સુનવણી થતા સ્પે.પી.પી દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, છેલ્લા 27 વર્ષ થી આરોપીઓ ફરાર ની જેમ વર્તન કરેલ હોય કોર્ટમાં ક્યારેય હાજર રહેલ નથી અને કેસ ને લંબાવવા એક યા બીજી રીતે ટાળવામાં આવેલ છે તેથી લાંબા કાનૂની વિરામ બાદ એટલે કે, વર્ષ 1992નાં કેસનાં આરોપીઓ વિરૂધ્ધ કેસ ઓપન થતા જામ ખંભાળીયા ના જયુડી.મેજી.ફ.ક.કોર્ટનાં ન્યાયધીશ એફ.આર.કોઠારીયા એ સ્પે.પી.પી ની દલીલો ગ્રાહય રાખી આરોપીઓ ની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. આ કેસમાં કસ્ટમ વિભાગનાં સ્પે.પી.પી તરીકે જમન કે. ભંડેરી રોકાયેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt