
મહેસાણા, 24 ઓગસ્ટ (હિ.સ.) : સદુથલા ગામે સ્વાધ્યાય પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્વાધ્યાય પરિવારના સભ્યો તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
અભિયાન અંતર્ગત ગામના આસપાસના વિસ્તારમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ દરમિયાન ઉપસ્થિત સભ્યોએ પર્યાવરણ જાળવણીનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા અપીલ કરી હતી. માત્ર વૃક્ષો વાવીને અભિયાન પૂર્ણ ન થાય પરંતુ વાવેલા રોપાઓની નિયમિત માવજત થાય તે માટે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્વાધ્યાય પરિવારના સભ્યો દ્વારા રોપાઓને પાણી આપવા તેમજ સમયાંતરે તેની સંભાળ રાખવા માટે જવાબદારી નક્કી કરવામાં આવી હતી. ગ્રામજનોને પણ પોતાના ઘર, ખેતર તથા જાહેર સ્થળોએ વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી.
વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આવા અભિયાનથી ગામમાં હરિયાળી વધવાની સાથે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ‘એક પેડ મા કે નામ’ અભિયાનને આગળ ધપાવી આગામી દિવસોમાં પણ વૃક્ષોની માવજત અને વધુ વૃક્ષારોપણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR