
બોટાદ, 25 ઓગસ્ટ (હિ.સ.)કુપોષિત બાળકોના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના હેતુથી બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુપોષણનો સામનો કરી રહેલા બાળકોને પ્રોટીન પાવડરના ડબ્બા તેમજ પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકોના શારીરિક વિકાસ, રોગપ્રતિકારક શક્તિ અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહારનું મહત્વ રહેલું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જરૂરિયાતમંદ અને કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકો તથા તેમના વાલીઓને પોષણ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા હાથ ધરવામાં આવેલી આ માનવતાવાદી કામગીરીને ઉપસ્થિત લોકો દ્વારા આવકારવામાં આવી હતી. સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી મદદ પહોંચે અને બાળકો તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત થતી રહે તેવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિતરણ વ્યવસ્થામાં સહભાગી બની સેવાકીય કામગીરીને સફળ બનાવી હતી. કુપોષિત બાળકોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે યોજાયેલ આ પહેલ સમાજમાં સેવાભાવ અને સામાજિક જવાબદારીનું સુંદર ઉદાહરણ બની હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA