
સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.) : સુરતના ભાઠેના વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક આવેલા BRTS બસ સ્ટેન્ડ પર બનેલી દુર્ઘટનામાં 18 વર્ષીય દેવ કોરવાલાનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટના 17મી તારીખે બની હતી અને સમગ્ર બનાવ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે. પ્રાથમિક માહિતી મુજબ બસમાં ભારે ભીડ હોવાથી મુસાફરો ઉતાવળમાં ચઢી રહ્યા હતા.
દેવ બસમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ડ્રાઇવરે મુસાફર સુરક્ષિત રીતે બસમાં ચડી ગયો છે તેની ખાતરી કર્યા વગર બસ આગળ દોડી મૂકી હતી. સંતુલન ગુમાવતા દેવ નીચે પટકાયો હતો અને બસનું પાછળનું ટાયર તેના પગ પર ફરી વળ્યું હતું. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ચાર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દેવનું મોત થયું હતું. બે ભાઈઓમાં સૌથી નાના દેવના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘટનાને લઈને બસ ડ્રાઇવરની બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે