


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “ગઝલોત્સવ” કવિ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.બિરલા હોલ, પોરબંદર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કવિ સંમેલનમાં અમદાવાદના ઉષાબેન ઉપાધ્યાય, વર્ષાબેન પ્રજાપતિ,નિસર્ગ આહીર, સુરેન્દ્રનગરના દર્શક આચાર્ય, અમરેલીના કાલિન્દી પરીખ અને પોરબંદરના સ્નેહલ જોશીએ પોતાની સ્વરચિત કવિતાઓ અને ગઝલોની પ્રસ્તુતિ કરી સાહિત્યરસિકોને રસતરબોળ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન સ્નેહલ જોશીએ રસાળ શૈલીમાં કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.સુરશ્રી ક્લચરલ ક્લબના ચેરમેન અને જાણીતા સંગીતગુરુ કિરીટભાઈ રાજપરાએ કાર્યક્રમના પ્રારંભે સુપ્રસિદ્ધ ગઝલકાર આદિલ મનસુરીની ગઝલ “તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે'ની સુરમયી પ્રસ્તુતિ કરી ‘ગઝલોત્સવ'નો મંગલ પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર, એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડૉ. સુરેશભાઈ ગાંધી, મુકેશભાઈ કોટેચા, સામતભાઈ ઓડેદરા, સુમનસિંહ ગોહિલ સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.સાહિત્યપ્રેમીઓ અને સુરશ્રીના સભ્યોએ મોડી રાત સુધી કાવ્ય અને ગઝલની પ્રસ્તુતિઓનો મનભરીને આનંદ માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સુરશ્રીના ચેરમેન કિરીટભાઈ રાજપરા તેમજ પ્રોજેક્ટ કમિટી મેમ્બર્સ અનિલભાઈ બથિયા, જીતુભાઈ મજીઠીયા, હિતેષભાઈ રાઠોડ, નરેશભાઈ ગોરખીયા, હિતેષભાઈ દવે, પ્રકાશભાઈ પરમાર અને કેતનભાઈ દત્તાએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya