


- અનુસૂચિત જાતિ પરિવારના ઘરે જમીન પર બેસીને અલ્પાહાર કરી રાજ્યપાલએ સરળતા અને સાદગીના દર્શન કરાવ્યા
અમદાવાદ,31 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નવાગામની ઓચિંતી મુલાકાત લઈને ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં સ્થાનિક અનુસૂચિત જાતિના પરિવારના લખુ મકવાણાના નિવાસ્થાને તેમના પરિવાર સાથે જમીન પર બેસીને અલ્પાહાર કર્યો હતો. ત્યારબાદ તેમણે પ્રાકૃતિક ખેતી, ગ્રામીણ જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત અનેક મહત્વપૂર્ણ બાબતો પર ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ગ્રામજનો સાથે સંવાદ સાધતા રાજ્યપાલએ રાસાયણિક ખેતીના નુકસાન સામે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કેન્સર, હૃદયરોગ અને ડાયાબિટીસ જેવા રોગોનું મુખ્ય કારણ ઝેરી ખાનપાન છે, જેનો એકમાત્ર ઉકેલ પ્રાકૃતિક ખેતી છે.
રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને જળ સ્ત્રોતો પણ દૂષિત થઈ રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના સ્વાનુભવના આધારે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદન ખર્ચ શૂન્ય થતો હોવાનું અને પાણીની બચત થતી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ખેડૂતોમાં એવી ગેરમાન્યતા છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે. ઉલટાનું પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો વિના પણ તેટલું જ અને ગુણવત્તાસભર ઉત્પાદન શક્ય છે.
રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે પ્રોત્સાહિત કરવાના પ્રયાસો અંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે નિષ્ણાતોના માધ્યમથી ગામડે-ગામડે વિનામૂલ્યે તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના ઉપયોગથી જીવામૃત અને ખાતર બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવે છે, જેથી પશુપાલન અને ખેતીના સમન્વયથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય.
ઓચિંતી મુલાકાત છતાં નવાગામમાં જોવા મળેલી ઉત્કૃષ્ટ સ્વચ્છતા બદલ રાજ્યપાલશ્રીએ સરપંચ અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સ્વચ્છતા જાળવવા, વૃક્ષારોપણ કરવા, યુવાધનને વ્યસનમુક્ત રાખવા અને દીકરા-દીકરીને સમાન શિક્ષણ આપવા અપીલ કરી હતી.
આ મુલાકાત દરમિયાન અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજિતસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, જિલ્લા પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ