ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગરમાં યોજાયો ભવ્ય રાજ્યસ્તરીય દ્વિતીય સંસ્કૃત-સપ્તાહ-મહોત્સવ
- સંસ્કૃત ભાષા સંસ્કાર, સંસ્કૃતિ અને આચાર-વિચારનું પ્રતિક છે – રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા - સંસ્કૃત માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતાં તેના દૈનિક વ્યવહારિક ઉપયોગ માટે રાજ્ય સરકાર તત્પર - ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં સંસ્કૃત સપ્તાહને ‘યોજના’ સ્
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગરમાં યોજાયો ભવ્ય રાજ્યસ્તરીય દ્વિતીય સંસ્કૃત-સપ્તાહ-મહોત્સવ


- સંસ્કૃત ભાષા સંસ્કાર, સંસ્કૃતિ અને આચાર-વિચારનું પ્રતિક છે – રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા

- સંસ્કૃત માત્ર ઉજવણી પૂરતી સીમિત ન રહેતાં તેના દૈનિક વ્યવહારિક ઉપયોગ માટે રાજ્ય સરકાર તત્પર

- ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં સંસ્કૃત સપ્તાહને ‘યોજના’ સ્વરૂપે સ્વીકારી જન-જન સુધી પહોંચાડાશે

ગાંધીનગર,31 ઓગસ્ટ (હિ.સ.) ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ‘વિકસિત ભારત અભિયાન’ અંતર્ગત ટાઉન હોલ, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય દ્વિતીય સંસ્કૃત-સપ્તાહ-મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંબોધતા રાજ્યકક્ષાના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે,સંસ્કૃત ભાષા માત્ર ઉજવણી કે પ્રચાર-પ્રસાર પૂરતી સીમિત ન રહેતાં તેના વાસ્તવિક અને દૈનિક વ્યવહારમાં ઉપયોગ વધે તે દિશામાં રાજ્ય સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યા છે. સંસ્કૃત એ માત્ર ભાષાકીય અભિવ્યક્તિ નથી, પરંતુ તે આપણી પ્રાચીન સંસ્કૃતિ, સંસ્કાર, આચાર અને વિચારનું પ્રતિક છે.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રાચીન સમયમાં આપણી મહાન સંપત્તિ અને સાહિત્ય સંસ્કૃત ભાષામાં જ જળવાયેલું હતું. રાજ્યના તમામ 34 જિલ્લાઓ અને 231 તાલુકાઓ સુધી પહોંચીને અંદાજે 3 લાખથી વધુ લોકો સુધી સંસ્કૃત સપ્તાહની પ્રવૃત્તિઓ વિસ્તારવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ -NEPના અમલીકરણ સાથે સંસ્કૃત ભાષાનું પુનરુત્થાન થશે અને પ્રાચીન ઋષિ પરંપરાને પુનર્જીવિત કરી શકાશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે બજેટમાં માતબર રકમની ફાળવણી કરી છે, જે સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધનને એક નવી દિશા મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના વક્તા અને સંસ્કૃત ભારતી દિલ્હીના અખિલ ભારતીય સંગઠન મંત્રી જયપ્રકાશ ગૌતમે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સંસ્કૃત ભાષા ચિર-નવીના છે અને આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા તકનીકી યુગમાં પણ સચોટ અનુવાદ અને જ્ઞાન-સંચાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દેશના 726 જિલ્લાઓ અને IIT, IIM જેવી અગ્રણી સંસ્થાઓ સુધી સંસ્કૃત સપ્તાહનો વ્યાપ વધ્યો છે.

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે સ્વાગત પ્રવચન આપતાં જણાવ્યું કે, અન્ય રાજ્યો કરતાં અલગ ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં મુખ્યમંત્રી દ્વારા સંસ્કૃત સપ્તાહને ‘યોજના’ સ્વરૂપે સ્વીકારવામાં આવી છે, જેથી “સંસ્કૃતં સર્વેશામ્, સંસ્કૃતં સર્વત્ર” ના મંત્ર સાથે તેને વર્ગખંડોમાંથી બહાર લાવી લોકભોગ્ય બનાવી શકાય.

આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા 'વિકાસ પણ, વિરાસત પણ' અને 'વિકસિત ભારત અભિયાન'ના સંકલ્પ સાથે 31 ઓગસ્ટ 2026થી વિશેષ સંસ્કૃત પ્રકલ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમીઓ માટે 'શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના' જેમાં ગીતાંશ કંઠપાઠ અને સંપૂર્ણ ગીતા કંઠપાઠ એમ બે વિભાગ છે તથા 'શત સુભાષિત કંઠપાઠ યોજના' અંતર્ગત 100 સુભાષિતો મુખપાઠ કરવા માટે શરૂ કરવામાં આવી છે.

આ યોજનાઓમાં ભાગ લેવા માટેના ફોર્મ અને નોંધણી પ્રક્રિયા આપેલા QR કોડ મારફતે ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી આપણી પ્રાચીન સંસ્કૃત વિરાસત, સુભાષિતો અને ભગવદ્ ગીતાના મૂલ્યો નવી પેઢી સુધી પહોંચાડી શકાય.ઉપરાંત, સંસ્કૃત સપ્તાહ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા શિક્ષણ અધિકારીઓ -DEO અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ -DPEO ને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande